[ઘડિયાળના કાંટા પર દોડતા આજના સમાજમાં’કર ભલા તો હો ભલા’ની નીતિ વિસરાઇ રહી છે,આવા કપરા સમયે અમારી મુલાકાત થઇ સદા અન્યોની મદદ કરવા માટે તત્પર રહેતા ટી.આર. કે. સોમૈયા સાથે.એક કચ્છી પરિવારન્ઓ દીકરો ગાંધીજીના વિચારો તરફ વળે અને ગાંધી—વિચારોના પ્રચાર---પ્રસાર માટે આખેઆખું જીવન અર્પણ કરી દેનારા સોમૈયાકાકા સાથે થયેલા વાતચીતના કેટલાક અંશ તમારા માટે...
ધોમધખતો તડકો હતો, લૂ વાઇ રહી હતી, ઠંડી લસ્સી કે છાશ પીવા માટે એ યોગ્ય સમય હતો. સૂર્યદેવતાના કોપને ઝીલતા અમેપહોંચ્યા ગ્રાંટરોડના ગાંધી બુક સેંટરમાં.પ્રવેશતાંવેંત જ નજરે ચડી વિનોબા ભાવેની આદમકદની પ્રતિકૃતિ, અસલ સાગના બનેલા પગથિયા ચડીને પહેલે માળે પહોંચ્યા ત્યારે ગાંધીજીના સ્ટેચ્યુની બાજુમાં જ ઊભેલા ખાદીધારીકાકાના પ્રેમાળ સ્મિતે પહેલી જ નજરે તેમની સરળતા અને નિખાલસતાનો પરિચય આપી દીધો. ગાંધીવાદી અણ્ણા હજારેના જનાઅંદોલનથી શરૂ થયેલી અમારી વાતોમાં સ્વાતંત્ર્ય સંગ્રામ, અમેરિકાના ઓબામા, હોલીવુડ એક્ટ્રેસ જેનિફર એનિસ્ટનથી લઇને સત્યમ કૌભાંડના રાજુએ પણ વગર આમંત્રણે પ્રવેશ કર્યો.’અત્યાર સુધી ક્યારેય દેશહિત કાજે જેલમાં જવાનો મોકો મળ્યો નથી, પરંતુ લોકપાલ બિલ માટે ‘જેલ ભરો’ આંદોલન શરૂ થશે તો હું 100 ટકા જેલમાં જવાનો.’હસતા હસતા ઉત્સાહપૂર્વક કહે છે તુલસીદાસ રાધાબેન કાનજી જેમને આપણે ટી.આર. કે. સોમૈયાના નામે ઓળખીએ છીએ.
‘ભૂદાન ચળવળ બાદ પણ બિહારમાં ગ્રામદાન માટે વિશાળ પાયે આયોજન કરાતું. એ સમયે મને કોઇકે કહ્યું હતું કે રસ્તા પરના સાઇનબોર્ડને હંમેશાં સાફ રાખો. જો સાઇનબોર્ડ પર ધૂળ જામી જશે તો વટેમાર્ગુ ભૂલો પડશે. બસ, આ વાત મારા
મનમાં ઘર કરી ગઇ. ગાંધીજીની તો આ ફાની દુનિયામાંથી વિદાય થઇ ચૂકી હતી, પરંતુ જો તેમના વિચારો જવલંત નહીં રાખવામાં આવે તો લોકો ભટકી જશે. પરિણામે ગાંધી—વિચારના પ્રચાર—પ્રસારમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. આજે ત્રણ દાયકાથી મારું આ કાર્ય અવિરત ચાલી રહ્યું છે, અલબત્ત, હું તો ખૂબ નાનો માણસ છું.ગાંધીજીનું નામ અને તેમના વિચારો મારી સાથે હોવાથી લોકો મને ઓળખે છે,’એવું ગાંધી બુક સેન્ટરના ભોંયતળિયે ગાંધીજીના સેંકડો પુસ્તકો વચ્ચે બેઠેલા
સોમૈઆકાકા તેમની માયબોલી કચ્છીમાં કહે છે.
આશરે સવા પાંચ ફૂટની ઊંચાઇ, એકવડિયો બાંધો, હોઠો પર રમતુ6 સ્મિત, ગાંધીવિચારધારાની ઊંડી છપ, તેજસ્વી આંખો આ બધાનો સરવાળો અમારી સામેની ખુરશીમાં હતો.’ટી.કે.સોમૈયા ‘. જન્મ મારો કચ્છના રોહા ગામમાં. પાંચ વર્ષનો હતો ત્યારે ભારત આઝાદ થયેલું . તેથી બાળપણથી જ હૈયું દેશદાઝ અને ગાંધીપ્રેમથી હર્યોભર્યો. જોકે યોગ્ય માર્ગદર્શન અને હિંમતનો અભાવ હતો. ગાંધીજીની વિદાય બાદ આખો દેશ વિનોબાની ભૂદાન ચળવળના રંગે રંગાયો હતો. મારે પણસ કશું ક કરવું હતું. એલ એન્ડ
ટીમાં એંજિનિયરની નોકરી છોડીને 1972માં મેં પણ દેશસેવામાટે સમર્પિત થવાનુ6 નક્કી કર્યું. જોકે પહેલા જ નક્કી કરી લીધું કે જ્યાં પણસેવા આપીશ ત્યાં એક પણ પૈસાનું વેતન લીધા વિના ‘ઓનરરી’ જ કામ કરીશ.દૃઢ નિર્ધાર સાથે સર્વોદય મંડળમાં જોડાઇ ગયો. બે વર્ષ તો દેશમાં ફર્યો. ગાંધી—સંસ્થાઓનો પૂરો અભ્યાસ કર્યો.ભવિષ્યમાં અનુભવની મૂડી જ મને કામ આવવાની હતી. 1975માં કટોકટી આવી, ત્યારે ભૂગર્ભમાં રહીને ખૂબ કામ કર્યું. ‘ભૂમિપુત્ર’ માટે દક્ષિણ ભારતમાં રહ્યો. દાદા ધર્માધિકારી, જયપ્રકાશજીનીચળવળોમાં સક્રિય ભૂમિકા ભજવી, ‘ભૂતકાળની વ્યસ્તતાની યાદ કરતા કહે છે સોમૈયાકાકા. વાતચીત કરવાની કળા તો એવી સૌમ્ય કે આપણને પણ ફ્લેશબેકમાં ત્રણ—ચાર દાયકા પાછળ લઇ જાય. વર્ષ 1982માં રિચર્ડ એટનબરોની ફિલ્મ ‘ગાંધી’ રીલિઝ થઇ. ધૂમ ચાલી એ ફિલ્મ.’એ સમયે મને થયું કે જો આજે પણ લોકો ગાંધીજીને આટલા ચાહતા હોય તો ગાંધીજીના વિચારોને લોકો સુધી પહોંચાડવાની આવશ્યકતા છે. હું નવજીવન સ્ટોર્સમાંથી ગાંધીજીની20—25 આત્મકથા કાપડના થેલામાં લઇને રિગલ થિયેટર પાસે ઊભો રહેતો. એનાથી વધારે પુસ્તકો તો ઊંચકાય નહીં, પ્રારંભના દિવસોને યાદ કરતા તેઓ કહે છે કે ‘ગાંધીજીની આત્મકથા’સત્યનાપ્રયોગો’ રૂ.પાંચ’ એવું પ્લે કાર્ડ હાથમાં રાખતો, ફિલ્મ જોઇનેપાછા ફરતા લોકો અચૂક આ પુસ્તક ખરીદતા. ક્યારેક તો દિવસમાં ત્રણ-ત્રણ વખત ફિલ્મના શો સમયે પુસ્તકો લઇને ઊભો રહેતો. લગભગ 45 દિવસ સુધી મેં હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં હજારો આત્મકથાઓ લોકો સુધી પહોંચાડી. લોકોનો ગાંધીસાહિત્ય પ્રત્યેનો પ્રેમ જોઇને અમે એ જ વર્ષે સુંદરબાઇ હોલમાં ગાંધી પુસ્તકોનું એક પ્રદર્શન ગોઠવ્યું. મિલો—કારખાનામાં મજદૂરોને 50 ટકા ડિસ્કાઉન્ટ માં અમે ગાંધી સાહિત્ય પહોંચાડતા. લોકો સુધી ગાંધીજીના વિચારો પહોંચાડવા , એ જ અમારું ધ્યેય હતું. ત્યાઅર્બાદ બાળકોને ગાંધીવિચારસરણી તરફ વાળવા માટે, ‘સંસ્કાઅર શિબિર’(અત્યારે પર્સનાલિટી ડેવલપમેન્ટ)
શરૂ કરી. 6ઠ્ઠી ઓગસ્ટે ‘હિરોશિમા ડે’ ની ઊજવણી આ બાળકોના માધ્યમે શરૂ કરી. આજે પણ દર વર્ષે 2000 વિદ્યાર્થી આ ઊજવણીમાં સહભાગી થાય છે. મહારાષ્ટ્રની વિવિધ જેલમાં જઇને કેદીઓને પણ ગાંધી—વિચારોના પુસ્તકો વાંચતા કર્યા. તેઓ ગાંધી પરીક્ષા આપતા થયા.’
જેમના હાથમાં ભારતનું ભવિષ્ય છે,એ બાળકોમાં ગાંધીવિચારસરણીનું રોપણ કરવાની તેમને તાત્કાલિક આવશ્યકતા જણાય છે. તેથી જ શાળાઓમાં પણ ગાંધી—પરીક્ષા શરૂ કરી છે. ગાંધીજીના વિચારો સાંપ્રતકાળમાં પણ 100 ટકા બંધ બેસે છે. સામાજિક, આર્થિક, માનસિક, રાજકીય તમામ ક્ષેત્રે ગાંધીજીના વિચારો ઉત્કૃષ્ટ સાબિત થયા છે. ગાંધીજીના વિચારોને માત્ર ભારત સુધી નહીં, વિશ્વભરમાં પહોંચતા કરવા માટે તેમણે દાયકા પહેલા શરૂ કરી એક વેબસાઇટ. દરરોજ 400—500 વિઝિટર આ વેબસાઇટની મુલાકાત લે છે. ગાંધીજી અને તેમના વિચારોનો પૂરેપૂરો ચિતાર મળી રહે છે. વેબસાઇટની મુલાકાત લેનારા 60 ટકા વિદ્યાર્થી તથા શિક્ષકો હોય છે.’ જો મારી પાસે બીજું કોઇ કામ ના હોય તો હું વેબસાઇટવધુ સમૃદ્ધ બનાવી શકું. મેં અત્યારે ગાંધીજીના માત્ર 10 ટકા જ વિચારો વેબસાઇટ પર મૂક્યાછે, પરંતુ એને જે પ્રતિસાદ મળ્યો છે એ અદ્ ભુત છે. જીવનમાં ગાંધીજીના વિચારોને પૂર્ણપણે આત્મસાઅત કરવા એ જ મારી નેમ છે.’કહે છે ટી.આર. સોમૈયા.
ભવિષ્યની યોજનાઓ અંગે પૂછતાં તેઓ નિ:સ્પૃહ ભાવે કહે છે કે ‘મેં જીવનમાં એક નિયમ રાખ્યો છે કે કદી કોઇ નિયમ બનાવવા નહીં. બીજું એ કે કદી ભવિષ્યનો વિચાર કરીને આજને બગાડવી નહીં.’સોમૈયાકાકા સાથે થયેલી વાઅત્ચીતમાં સતત એમના પ્રેમાળ અને માયાળુ સ્વભાવનો પરિચય મળતો રહ્યો. ગાંધીજીના વિચારોને દેશના ખૂણે ખૂણે પહોંચાડવા માટે કટિબદ્ધ થયેલા ખારી ધરતીના આ મીઠા માનવીને મળીને હૈયું હરખાઇ ઊઠ્યું. એમની પરવાનગી લઇને બુક સેન્ટરના દરવાજામાંથી બહાર નીકળ્યા ત્યારે પોતાને ‘નાનો માણસ’ ગણાવતા આ અદના આદમીને સલામ કરતા એક જ પંક્તિ અર્પણ કરવાનું મન થયું કે,
’અમે જતા રહીશું અહીંથી, પણ અમે ઉડાડ્યો આ ગુલાલ રહેશે,
ખબર નથી શું કરી ગયા? પણ જે કરી ગયા તે કમાલ રહેશે…’